રાજકોટ,
તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે વિજય ઉર્ફે દુખે રમેશભાઈ ઢોલી અને D.C.B ટીમે પોરબંદરથી અજિત ગોગનભાઈ બાબરને દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બંને સાથે હત્યામાં ફરમાન ઉર્ફે નેપાળી પણ સામેલ હોય તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં D.C.P મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અજિત બાબરને ૫ વર્ષ પૂર્વે જેતપુર પાસે અંકુર હોટલ ખાતે મહેશ સાથે મુલાકાત થઇ હતી. ત્યાં મિત્રતા થયા બાદ મહેશ અજિત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો અને ધમકાવતો કે જો પોતે આવું નહિ કરે તો તેના પરિવારને અન્ય લોકોને પણ કહી દેશે બાદમાં અજિતને રાજકોટ લાવી વાણંદ કામની કેબીન કરી દીધી હતી. રાજકોટમાં અજિત મહેશનો દીકરો હોવાનું જણાવતો હતો. તા.૪ ના રોજ ત્રણેયને મહેશ સાથે વાંધો હોવાથી મહેશનો કાંટો કાઢી નાખવાનું ત્રણેયે નક્કી કર્યું હતું અને પ્લાન મુજબ પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝની અગાસી ઉપર મહેશ અને અજિત બંને સુતા હતા. ત્યારે વિજય ઉર્ફે દુખેએ મહેશને ઇટનો એક ઘા મારી દીધો હતો. મહેશ ઉભો થવા જતા વિજય અને અજિતે પાછળથી પકડી રાખ્યો હતો. અને ફરમાન નેપાળીએ પથ્થરનો ઘા માથામાં માર્યો હતો. ત્રણેય હત્યા કરી સુઈ ગયા હતા.
અને બીજા દિવસે તા.૫ ના રોજ સવારે અજિતને વિજય મૃતકનું બાઈક લઇ ગ્રીનલેન્ડ ચોકડીએ મૂકી આવ્યો હતો. બાદમાં મૃતકના ફોનમાંથી સીમકાર્ડ કાઢી કારખાનામાં કામ કરતા એક શખ્સનો મોબાઈલ લઇ તેમાં કાર્ડ નાખી વિજયે પ્રથમ ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો. પરંતુ તેમાં નહિ લાગતા ૧૦૮માં ફોન કરી મણિનગરમાં એક માણસનું મર્ડર થઇ ગયેલ છે તેવું કહી ફોન કાપી નાખ્યો હતો. આમ મર્ડર મિસ્ટ્રીને અંજામ આપ્યો હતો. પત્રકાર પરિષદમાં D.C.P જાડેજા સાથે A.C.P ગેડમ, D.C.B, P.I વી.કે.ગઢવી, માલવીયાનગર P.I કે.એન.ભૂંકણ, P.S.I વી.કે.ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર દિલીપ પરમાર, રાજકોટ